શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાને આપેલી કેટલીક વિશેષતાઓઃ
ગૃહસ્થાશ્રમ માટેનું સાકેટમ કલ્યાણ
ગૃહસ્થો માટે પણ પંચવર્તમાન- નિષ્કામ, નિર્લોભ, ર્નિસ્વાદ, ર્નિસ્નેહ અને નિર્માન પાળીને પ્રવર્તાયા.
ધ્યાન, ધારણા, પ્રવેશ અને સમાધીરૂપ સાક્ષાત્કાર.
ફક્ત મુક્ત-મુમુક્ષુઓને ભેગા કરીને અતિ ઉચ્ચ નિર્વિકલ્પ નિશ્વય (છઠ્ઠો) સિદ્ધ કરાવી, મુક્તની શિક્ષાપત્રી, શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃતમાં નિયમો બતાવી પુરુષમાંથી પુરુષોત્તમરૂપ બનવા માટેના જ્ઞાન-વિજ્ઞાનના અનુભવો સિદ્ધ કરાવ્યા અને આજેય થાય છે.
શાસ્ત્રોમાં જે લખ્યું છે તેનો પ્રત્યક્ષ અનુભવ.
આજે પણ સત્સંગમાં શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન મૂર્તિ/પ્રતિમા/શાસ્ત્ર દ્વારા પ્રગટ રહી ફક્ત પ્રગટ મૂર્તિનું જ જપ-ધ્યાન-ભજન (શુદ્ધ ઉપાસના) કરાવી હરિભક્તોને અક્ષરકોટિ અને પુરુષોત્તમ કોટિની સ્થિતી માટે તૈયાર કરે છે.
ફક્ત અનાદિ ભગવાનના પુરુષોત્તમના નામનું જ ભજન.
સિમેન્ટ-પથ્થરના નહિં પણ દદા દેહ દેવળમાં દેવ(પ્રગટ પ્રભુ) પધરાવી હાલતાં-ચાલતાં મંદિરો કરી શુદ્ધ એકાંતિક ધર્મ પાળી અક્ષરધામના અધિકારી થવાય છે.
પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું પ્રગટ સ્વરૂપ હોય ત્યાંની વિશેષતા
સંક્ષિપ્ત પરિચયમાં દર્શાવ્યા મુજબ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી અને ત્યારપછીની ગુરુ પરંપરામાં જ મુક્તમાં પ્રગટ પુરુષોત્તમ સ્વયં પ્રગટ સ્વરૂપે સમગ્ર ઐશ્ચર્ય સહિત જ વિચર્યા હોવાથી આ છ ગુરુપરંપરા વિશે અવતાર-અવતારીનો ભેદ નથી. ને આ પ્રગટ સ્વરૂપને બીજા અવતાર જેવા જાણે તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. તેમાં રાજારૂપ ભગવાનના ૩૯ લક્ષણો હોય. જ્યાં પ્રગટ સ્વરૂપ હોય ત્યાંની વિશેષતા નીચે મુજબ છે.
પ્રગટ પુરુષોત્તમ ભગવાન વડવાનળ જેવા અક્ષરમુક્તમાં જ પ્રગટપણે રહે છે. તે મૂર્તિ સ્વયં ભગવાનની કહેવાય, ને તે થકી વિષય ખોટા થાય. તેનું ધ્યાન, ભજન થાય. તેમાં નવો નવો સ્વાદ આવ્યા જ કરે. ને તે દિન દિન પ્રત્યે વધે. ત્યાં ધ્યાન, ધારણા, સમાધિરૂપ ચમત્કાર હોય જ. ( શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નં. ૧૫૨)
સૂર્ય ઊગે તે છાનો ન રહે ને પોતાના મુક્ત-મુમુક્ષુઓને તરત ખેંચી લે ને પ્રયોજન અનુસાર વર્તાવે છે.
ભગવાન હોય તે ઐશ્વર્ય દાબીને જ વર્તે ભગવાનપણું છુપાવીને રાખે કહેતા સમર્થ થકા જરણાં કરે. (ગ. પ્ર. ૨૭ મુજબ)
ફક્ત સંભારવાનું કહે ને વગર દિવાએ દર્શન દઇશ તેમ કહે ને અંત ઘડીએ બિરુદ પ્રમાણે તેડવા આવીશ. તે અગાઉથી કહીને સોળે શણગારે સહિત સ્વતંત્ર થકાં આવી, દર્શન દઇ અક્ષરધામમાં તેડી જઇશ તેમ સ્પષ્ટ કહે. અને તે દિવસે અને સમયે આવી તેડી જાય છે.
વડવાનળ જેવા એક જ હોય. પ્રગટેલાની જોડ આખી દુનિયામાં ના મળે, પ્રગટેલા ભગવાનના આશ્રિતનો કોઇ આશ્રિત થાય, પણ ગુરુ થવા કોઇ સમર્થ થાય નહિ. (શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નં. ૨૮૫)
ગુરુ હોય તે વાંચી વાંચીને જ્ઞાન કરે. ને સદ્ગુરુ (પ્રગટ સ્વરૂપ)ને શાસ્ત્ર ન જોઇએ. શાસ્ત્રમાં જે લખ્યું તે બધું દેખાડી દેવું. મરીને જ્યાં જવાનું છે તે જીવતાં દેખાડી દેવું. તે સદ્ગુરુનું કામ તે સદ્ગુરુ કહો કે ભગવાન કહો, કારણ કે, જોયું છે ને જોઇ આવ્યો છે. દેખે છે ને દેખાડે છે. ન ગયા હોય તે શું દેખાડે? આ સદ્ગુરુનું કાર્ય બીજાથી ન થાય. એકજ વાત કહેવાની કે, જીંદગીમાં જોવા જેવું છે, કેમ કે પ્રભુ એક જ છે. તેનો જેવો બીજો કોઇ નહીં. ( શ્રી પુ. વિ. પાના નં. ૨૭૩)
મહુવાના શ્રી પ્રાગજી ભગવાનનું દૃષ્ટાંત જે હું હવે માથે છેડો નાખીને અલગપણે ખેલીશ. બાઇ-ભાઇનું સાકેટમ કલ્યાણ કરીશ. હવે, સાધુંમાં પેશ નહિ જાય. ને હવે આખો ભગવાન થઇશ. તે શું તો જે હજી થયા નથી, થઇશ કહેતાં પૂર્ણ પ્રતાપે વત્યૉ નહોતા. તે ભાદરણમાં શ્રી પુરુષોત્તમ ભગવાન થયા તે પૃથ્વી પરના અત્યાર સુધીના શાસ્ત્રોમાં જે જે લખ્યું છે તે તે વાતનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો, આ વાત શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃતમાંથી સંતસમાગમે સમજી શકાશે.
ગુરુ તો જીવે ઘણા કર્યા હશે. આ તો સદ્ગુરુ છે. ગુરુની વ્યાપક શકિત નહીં. બીજી ગતિ નથી. આ સદ્ગુરુ તો ઘટઘટમાં વ્યાપક છે. જ્યાં બોલાવો ત્યાં હાજર થાય, એવું સુખ વર્તે કે પ્રભુ વિના બીજામાં સ્વાદ મનાય જ નહિ. આ મેળાપ થયો ને મોંઢુ જોયું એટલે આજ સુધી બધા ગુરુ કહેવાય, તે શાસ્ત્ર વાંચી જ્ઞાન કરે ને કરવાનું બતાવે, ને આ તો કરવાનું ના કહે. મોંઢુ જોવાનું કહે. ( શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નં. ૨૭૭)
કોલસામાં અગ્નિનો પ્રવેશ હોય તે અગ્નિનું કામ કરે છે. તેમ આ દેખાય છે માણસ જેવા, પણ કામ પ્રભુનું કરે છે. હું કંઇ અહીંજ છું એમ નથી. સર્વત્ર છું, તમારે ઘેર આવીને દર્શન દઇશ ત્યારે મનાશે. ઘીરે ઘીરે તેજ વધે. પ્રથમ માણસ દેખાય એટલુંજ તેજ દેખાય પછી ધીમે ધીમે વધે, તે ફાટી જવાય. તે માટે વાત કરી તે વિચારજો ભૂત નથી એમ ઓળખજો, આ ઓળખી મુક્યો હોય તો એમ થાય કે આ ભૂત નથી, પ્રભુ છે. એટલે તમારી મુક્તિ થઇ રહી. ( શ્રી પુ. વિ. પાના. નંબર. ૨૭૯)
પ્રગટ પુરુષોત્તમ ભગવાનના મુક્તોની વિશેષતા
પ્રગટ પુરુષોત્તમના સંબંધને પામ્યા એવા દૃઢ આજ્ઞા-ઉપાસનાવાળા સંતો ભગવાનના પ્રતાપે અતિ સમર્થ હોય છે. પણ ભગવાનના દાસ ભાવે, સ્વામી સેવક ભાવે જ વર્તે છે.
ભગવાનના પ્રતાપે કરીને દૂર દૃષ્ટિ, દૂર ગમન, દૂર શ્રવણ ને અગ્નિ બાળે નહિ, જળ બુડાડે નહિ, ઝેર ચઢે નહિ જેવી સ્થિતિવાળા સંતો જોવા-સાંભળવા મળે. (તે પ્રભુ પ્રતાપે અષ્ટસિધ્ધિ, નવનિધિ ઇત્યાદિ પ્રાપ્ત થયેલ હોય છે.)
પ્રગટના સંબંધને પામ્યા જે હરિભક્તો સિંહના બચ્ચાનાં દષ્ટાંતે કોઇના વાડામાં પૂરાઇ રહે નહીં. જેમને કંઠી – તિલક આદિ બાહ્ય ચિહ્નનું બંધન ન હોય, પોતાને બ્રહ્મરૂપમાની પરબ્રહ્મ પુરુષોત્તમની ઉપાસના કરે.
પહેલા નિશ્ચયમાં ભગવાનના લીલાચરિત્ર સંભારે મન શાંત રહે અને આનંદમાં રહે. બીજા નિશ્ચયમાં આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય અને મન શાંત રહે અને ભગવાનને વળગી રહે. ત્રીજા નિશ્ચયમાં પંચવિષયનો અભાવ આવે અને ઉદાસ થઇને રહે. ચોથા નિશ્ચયમાં મનુષ્યરૂપ મૂર્તિમાં હેત થાય. અને મૂર્તિમાં વળગી રહે. પાંચમા નિશ્ચયમાં અક્ષરરૂપ થઇને પુરુષોત્તમની ઉપાસના કરે. છઠ્ઠા નિશ્ચયમાં વડવાનળ જેવા સંત થાય. વડવાનળ જેવા ઘણા થાય પરંતુ તેમાંથી ભગવાન એકને વળગે તે જ ભગવાન કહેવાય. ભગવાનને વળગનારા ઘણા હોય છે. પરંતુ ભગવાન જેને વળગે તે ભગવાન કહેવાય.
સિધ્ધાંતરૂપ – રહસ્યમય વાત (અનાદિ પુરુષોત્તમ નામ માહાત્મ્ય)
સહજાનંદ સ્વામીના ગુરુ ઉધ્ધવનો અવતાર એવા શ્રી રામાનંદ સ્વામી પોતે શ્રી સહજાનંદ સ્વામીને સ્વયં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સમજતા હતા. ને આ પુરુષોત્તમ ભગવાનના આધારે જ સમગ્ર જીવ પ્રાણી કાર્ય કરવા સરર્થ છે. તે વાતનું રહસ્ય પણ જાણતા હતા. આ વાર્તા રામાનંદ સ્વામીએ પોતાના શિષ્યો શ્રી મુક્તાનંદ સ્વામી ઇત્યાદિને કરી. “અમે તો ડુગડુગી વગાડનાર છીએ ને ખરા ખેલના ભજવનાર આ સહજાનંદ સ્વામી છે.” (શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથમાંથી)
“આજ તો મેરા પ્રયોજન યે હી હૈ, જ્યો અવિદ્યાકું નાશ કરના, જીવકું બ્રહ્મરૂપ કરના, ઇસ પ્રયોજન વાસ્તે મેં પ્રગટ હુઆ હું” – શ્રી સહજાનંદ સ્વામીનો પત્ર
મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. આ જીવ બીજે ક્યાંય અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કહેવામાં અટકે છે. – શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો
અનાદિ પરમાત્માનું નામ પુરુષોત્તમ છે, તેનું ભજન કરીએ છીએ કારણકે, અનાદિ નામ રામ કૃષ્ણાદિક હોય તો તેનો મહિનો આવે, પણ અનાદિ નામ પુરુષોત્તમ છે. તેથી પુરુષોત્તમ મહિનો તેરમો આવે છે. – શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નંબર. ૧૩
પુરુષોત્તમમાંથી સર્વે અવતાર થાય છે. ને તેમાં સર્વે લીન થઇ જાય છે. એક પુરુષોત્તમ જ રહે છે. માટે એક પુરુષોત્તમ જ અનાદિ છે. માટે પુરુષોત્તમ પુરુષોત્તમ ભજન કરવું. તો તમારા મનોરથ પુરા થશે. પુરુષોત્તમ પુરુષોત્તમ થોડું કરે, તો થોડા મનોરથ પુરા થાય. ને વધારે સંભારો એટલે અખંડ પુરુષોત્તમ પુરુષોત્તમ કરો તો બધા જ મનોરથ પુરા થાય. એક પણ ખાલી ના જાય. એવું કરવાનો મારે માથે હક્ક છે. માટે પુરુષોત્તમ પુરુષોત્તમ ભજન કરવું તે બધી ઇચ્છા પૂરી કરીશ. – શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નંબર. ૩૨૦
દરેક અવતારે નામીને બદલે નામનું ભજન થયું, તે રામની ફોઇએ રામ નામ પાડ્યું તે રામરામ ભજન થયું ને કૃષ્ણનું પણ તેમજ. ને શ્રીજી મહારાજા વખતે સ્વામિનારાયણ ભજન થયું. ને અનંતવાર કહ્યું કે, હું પુરુષોત્તમ છું પરંતુ કૃષ્ણ જાણ્યા પુરુષોત્તમ જાણ્યા નહિ. ને મારી ફોઇએ પસલો નામ હરિઇચ્છાથી પાડ્યું. પરંતુ જો કોઇ બીજું પાડ્યુ હોત તો પણ પુરુષોત્તમનું જ ભજન થવાનું હતું. – શ્રી પુરુષોત્તમ ભગવાન (સત્સંગમાં “જય સ્વામિનારાયણ” મંત્રને બદલે “જય પુરુષોત્તમ” મહામંત્ર બોલવા તથા કંઠી-તિલક જેવા બાહ્ય ચિહ્ન પોતે દૂર કરી શ્રી પુરુષોત્તમ ભગવાને કરેલ આજ્ઞા-ઉપાસનાની રીતનો પ્રસંગ સત્સંગમાં પ્રચલિત છે.)
હવે, ફોટો મુકીને ભજન કરવું ને એક પુરુષોત્તમ પુરુષોત્તમ ભજન કરવું. ગજ હાથ અધ્ધર આવે તોપણ આ પુરુષોત્તમ નામ મુકવું નહીં. આ પુરુષોત્તમ મહામંત્રએ અહીંથી અક્ષરધામ સુધીનો સરળ માર્ગ છે. વચ્ચે કોઇ વિધ્ન નથી. ને જો રામ રામ કરશો તો વૈકુંઠમાં જશો ને કૃષ્ણ-કૃષ્ણ કરશો તો ગૌલોકમાં જશો ને નારાયણ-નારાયણ કરશો તો બદ્રિકાશ્રમમાં જશો. પણ એક પુરુષોત્તમ પુરુષોત્તમ કરશો તો નિર્વિધ્ને અક્ષરધામમાં જવાશે. – અક્ષરાતીત શ્રી ડાહ્યાભાઇ ભગવાન. (અમદાવાદ – શાહપુર અક્ષરભુવન મંદિરમાં સત્સંગમાં બોલાતા “જયશ્રી નારાયણ”ને બદલે “જયશ્રી પુરુષોત્તમ” બોલવાની આજ્ઞા થયેલી તે વાતનો પ્રસંગ સત્સંગમાં પ્રચલિત છે.
સિધ્ધાંતરૂપ – રહસ્યમય વાત (અનાદિ પુરુષોત્તમ નામ માહાત્મ્ય)
ઓછી પ્રવૃત્તિને ઝાઝુ ભજનઃ આ સંસ્થામાં ભાદરણ, બાકરોલ, શાહપુર અને છોટાઉદેપુર ચાર સ્થાન શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનના જન્મ, પ્રાગટ્ય તથા લીલા વિચરણ ભૂમિ એવા અતિ પવિત્ર શ્રેષ્ઠ દિવ્ય યાત્રાધામો છે. જ્યાં દર સાલ નિમિત્ત પ્રમાણે ઉત્સવ સમૈયા થાય છે. અહીં ઓછી પ્રવૃત્તિને ઝાઝુ ભજન થાય છે. સમૈયામાં આવવા – જવા – રહેવા – ભોજન – સેવા – ભજન – સત્સંગનો લાભ વગેરે સ્વતંત્ર સુખ મેળવી શકાય છે.
ગૃહસ્થ બાઇ-ભાઇનું સાકટમ કલ્યાણઃ આ ધામોમાં ભગવાન ગૃહસ્થાશ્રમમાં પ્રગટ્યા છે. તેથી સ્ત્રી અને પુરુષ એટલે કે બાઇઓ અને ભાઇઓ બંન્નેએ પ્રગટ પ્રભુની સેવા – પ્રસન્નતાનો લ્હાવો લીધો છે. ને હાલ પણ પ્રભુની આજ્ઞાનુસાર વર્તમાન નિયમમાં રહી ભજન ભક્તિ કરે છે. ( પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા કંકોત્રી વાંચવી)
બ્રહ્મવિદ્યાની શાળાઃ આ ધામો બ્રહ્મવિદ્યાની શાળા છે. જ્યાં નિર્વિકલ્પ પાઠ ચાલે છે. “ દદ્દા દેહ દેવળમાં દેવ (પ્રભુ) પધરાવવા” તે સ્વરૂપ (બ્રહ્માંડ)ના ભગવાન અને પીંડના ભગવાન બંન્ને સ્વરૂપની એકાત્મતા કરવી. મનન દ્વારા બ્રહ્મની ભાવના કરી તેના ગુણ જીવમાં લાવવા. કુંવારી વૃત્તિ રાખી નિષ્કામપણે પ્રગટ પુરુષોત્તમની સેવા – પ્રસન્નતા માટે અંતરદ્ષ્ટિ, અંતરભક્તિ, ધ્યાન, ધારણા, ભજન કરવાનું પ્રાધાન્ય છે.
પ્રગટનાને વ્રત-તપાદિક સાધન કરવાની જરૂર નથીઃ વર્ણાશ્રમના ધર્મ તથા જપ, તપ, તીર્થ, યજ્ઞો, વ્રત-ઉપવાસ, વગેરે સાધનો તે પ્રગટ ભગવાનને પામવા માટે કરતા હતા. તે ભગવાન પ્રગટ સ્વરૂપે મળ્યા એટલે કે જેને પામવા હતા તે જ છતે દેહે આપણને પ્રગટ મળ્યા છે. તેથી હવે ઉપરના વ્રત, તપાદિક સાધન કરવાની જરૂર નથી. પરંતુ ફક્ત જે પ્રગટ મળ્યા તેનું ભજન કરવું, સંભારવું, મૂર્તિ ધારવી, ચિંતવન કરવું અને જે પ્રત્યક્ષ ભગવાન આજ્ઞા કરે તે મુજબ જ રહેવું. અને એજ સર્વ શાસ્ત્રનો સાર મતલબ છે.
લખણી-ઉઘરાણીની પ્રથા નથીઃ આ ધામરૂપ મંદિરોમાં લખણી કે પૈસાની ઉઘરાણી કે દશાંશ-વિશાંશની માંગણીની પ્રથા નથી. કેમકે, પ્રગટ સ્વરૂપોના જીવન ચરિત્રો, સિધ્ધાંતો-સામર્થીઓ-પ્રતાપથી હરિભક્તોમાં માહાત્મ્ય સહિત સદ્ગુણો કે અનુભવોને ધ્યાને લઇ તન-મન-ધનથી અને મન-કર્મ-વચને પ્રગટ પ્રભુને અર્પી સેવા પ્રસન્નતા મેળવવાના કોડ રહે છે. ને પ્રભુએ આપેલા સર્વે સુખ-સંપત્તિના પ્રમાણમાં પ્રભુશ્રીના ચરણોમાં ગુપ્ત રીતે અર્પણ કરે છે. પ્રગટ ભગવાનનો પ્રતાપ જુદો છે, તેથી બીક પણ રાખે છે.
આજ્ઞા-ઉપાસના નિષ્કામ ભક્તિઃ પ્રગટ પ્રભુના લાડીલા હરિભક્તો મુક્ત-મુમુક્ષુઓ પતિવ્રતાના ભાવે એકજ સ્વરૂપનિષ્ઠા દૃઢ રાખી પ્રભુશ્રીની આજ્ઞા ઉપાસના ભક્તિ કરે છે. એટલેકે, વચનામૃત, શિક્ષાપત્રી, મુક્તની શિક્ષાપત્રી મુજબ ભજન-ભક્તિ ફક્ત જીવના કલ્યાણ-પરમપદ આત્યંતિક મોક્ષ સાધી લેવાની ભાવનાથી કરવાને પ્રાધાન્ય છે.
પ્રગટના ભક્તનું માહાત્મ્યઃ પ્રગટ ભગવાન અને તેના હરિભક્તો એજ જીવનની સાચી મૂડી છે. સાચા સગા છે. સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. એવો અતિ માહાત્મ્ય સહિત દિવ્ય ગુણભાવ રાખી, સુહૃદયીભાવને, દાસાનુદાસભાવે ચરણ-કમળની ટેકનો પ્રાદ્યાન્ય છે. તેથી સૌ પગે નમીને “જયશ્રી પ્રગટ પુરુષોત્તમ” કહેવાનો લાભ લે છે. ને વળી લગારે દોષાદિક કર્મ ન બંધાય તેની પણ તકેદારી રાખે છે. અહીં લાભનોય પાર નથી ને બેધ્યાનપણે રહે તો ખોટનોય પાર નથી. “અન્ય ક્ષેત્રે કૃતં પાપં, તિર્થક્ષેત્રે વિનષ્યતિ, તિર્થક્ષેત્રે કૃતં પાપં, વ્રજ લેપો ભવિષ્યતિ.”
બ્રહ્મવિદ્યા ભણાવવાની આજ્ઞાઃ શ્રી પુરુષોત્તમ ભગવાને કહ્યું છે જે, ‘આપણી આ બ્રહ્મવિદ્યા ભણાવવી એ અખૂટ દાન છે. તે ભગવાનની ગરજવાળાને ભણાવીએ તો તે આ લોકે – પરલોકે સુખી થાય.’ અને જેથી મહારાજ કહે જે, ‘હું બહું રાજી થાઉં છું.’ વળી, કહ્યું જે, ‘કાળા લોકો જ્યાં સુધી વિદ્યા નહોતા ભણ્યા ત્યાં સુધી ભુરા લોકોએ ભણાવ્યું. પણ હવે કાળા લોકોએ જાણ્યું એટલે ભૂરા ભણાવવા કાંઇ આવે છે? તેમ અમે ભણાવતા હતા, તે બીજા કોઇ નહોતા જાણતા ત્યાં સુધી, પગાર લીધી વગર ભણાવ્યું. તે અમે જેને ભણાવ્યું તે બીજાને ભણાવે છે. આપણું જ્ઞાન સાચું અને સર્વોપરી છે. તો સામાને પેસી જાય છે. શાસ્ત્રમાં બ્રહ્મવિદ્યાનું દાન શ્રેષ્ઠ કહ્યું છે. ( શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃત પાના નંબરઃ ૩૧૫)
“ભગવાન ભૂલાય એ ભૂલ અને સંભારવા ચૂકી જવાય એ ચૂક. નકામા ગપોટા કરતાં દરેક કામમાં પ્રભુનું નામ લેવાય, પેટને પેટની પછવાડે વળગ્યાં તેનું પોષણ કરતા ભજન થાય ને આખો દિવસ એવું સ્મરણ થયું તેના અભ્યાસમાં રાત્રે સૂઇ જઇએ તો પણ વગર કર્યું ધ્યાન થાય, તેથી આખો દિવસ આનંદ જાય. બીજી લપઝુડ કરવી નહીં. તેમાં કાંઇ ફાયદો નહીં. તેથી રજોગુણ હોય તો કથા-કીર્તન કરવા.”